ચીફ બ્યુરો (રાજકોટ) :- ભરત ભરડવા
ઈવીએમના આગમન બાદ મતગણતરી શરૂ થયાના વધુમાં વધુ બે કલાકમાં પરિણામો જાહેર થઈ જતાં હોય છે પરંતુ આ વખતે પરિણામ જાહેર થવામાં મોડું થવાની ભારોભાર સંભાવના છે. કારણ કે પ્રત્યેક વિધાનસભા દીઠ પાંચ બુથના વીવીપેટની પણ ગણતરી કરવાનું સુપ્રીમ કોર્ટના આદેશથી ફરજિયાત હોવાના કારણે પરિણામ બપોરે આવે તેવી સંભાવના છે.તા.૨૩–મેના રોજ સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને ત્યારબાદ પ્રત્યેક વિધાનસભાના પાંચ–પાંચ બુથના વીવીપેટની ગણતરી કરાશે.રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સાત વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરાયો છે અને તેની ૩૫ વીવીપેટ ગણતરીમાં લેવાશે. કયાં બુથના કયાં વીવીપેટની ગણતરી કરવી તેનો નિર્ણય મતગણતરી શરૂ થવાના એકાદ કલાક અગાઉ ડ્રો સિસ્ટમથી નિર્ણય લેવાશે. ઈવીએમના મતની ગણતરી ૧૪ ટેબલ પર કરવામાં આવશે અને અંદાજે ૧૪૦૦ જેટલા અધિકારીઓ–કર્મચારીઓને ફરજ સોંપવામાં આવશે. આ અંગેના ઓર્ડર ટૂક સમયમાં કરવામાં આવશે. મતગણતરીની કામગીરીના સ્ટાફનું રેન્ડમાઈઝેશન પણ જે–તે દિવસે સવારે કરવામાં આવશે.

0 Comments:
Post a Comment