દંપતીની હત્યાના ગુનામાં કોન્સ્ટેબલને 25 વર્ષની સજા

ચીફ બ્યુરો : ભરત ભરડવા (રાજકોટ)
રાજકોટ શહેરના જામનગર રોડ પર પુનિતનગરમાં નજીવા પ્રશ્ને પડોશી દંપતીની છરીના ઘા મારીને ક્રૂર હત્યા કરવાના ૬ વર્ષ પહેલાના કેસમાં આરોપી કોન્સ્ટેબલ કમલેશ ઉર્ફે લાલો રમેશભાઇ મહેતાને એડિશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે ૨૫ વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ, જામનગર રોડ પર સત્યપ્રકાશ સ્કૂલની બાજુમાં પુનિતનગરમાં રહેતા અને આઇ.ઓ.સી.માં ફરજ બજાવતા ભૂપતભાઇ વિઠ્ઠલભાઇ તેરૈયા (ઉ.વ.૫૪) અને તેના પત્ની ગુણવંતીબેન (ઉ.વ. ૫૨) ૭ એપ્રિલ ૨૦૧૪ ના રોજ ઘરની બહાર ખુરશી નાખીને બેઠા હતા. આ સમયે પડોશમાં રહેતા અને બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કમલેશ રમેશભાઇ મહેતાએ ડ્રેસમાં આવીને અહીં ખુરશી રાખીને બેસવું નહીં તેમ કહી ઝગડો કરી ગાળો ભાંડી હતી.દંપતીએ આ અંગે કમલેશના માતા મંજુબેનને ફરિયાદ કરતા રોષે ભરાયેલો કોન્સ્ટેબલ ઘરમાંથી છરી લઇને બહાર આવ્યો હતો અને ગુણવંતીબેન તથા ભૂપતભાઇને છરીના આડેધડ ઘા મારી દીધા હતા. હુમલામાં ઘવાયેલા ગુણવંતીબેનના આંતરડા બહાર નિકળી ગયા હતા જ્યારે ભૂપતભાઇ જીવ બચાવવા ઇજાગ્રસ્ત હાલમાં બાજુની શેરીમાં સાળા કિરણભાઇ મંડિરના ઘર પાસે પહોંચ્યા હતા. પરંતુ મગજમાં શૈતાન સવાર થયો હોય તેમ કોન્સ્ટેબલ ભાગેલા ભૂપતભાઇને કિરણભાઇની નજર સામે જ પેટ,છાતી,વાંસામાં છરીના ઘા મારી દીધા હતા. ખૂની હુમલામાં ઘવાયેલા દંપતીએ સારવાર મળે એ પહેલાં દમ તોડી. દેતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો.પોલીસના ડ્રેસમાં જ ચાલુ નોકરીએ ખૂની ખેલ ખેલનાર કોન્સ્ટેબલ બેવડી હત્યા કર્યા પછી મૃતક દંપતીના રૈયારોડ પર રહેતા પુત્ર સુધિરને મારી નાખવાના ઇરાદે રૈયારોડ પહોંચ્યો હતો. આ બનાવની જાણ થતાં પીઆઇ વી.એમ.જાડેજા, પીઆઇ નાકાબંધી કરી મોડી રાતે આરોપી કોન્સ્ટેબલ કમલેશને ઝડપી લીધો હતો. તેના ઘરમાંથી લોહીથી લથબથ વર્દી તેમજ એરપોર્ટની દિવાલ નજીક દાટી દીધેલી છરી કબજે કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં સ્પે. પી.પી. તરીકે રૂપરાજસિંહ પરમાર, મૂળ ફરિયાદીના વકીલ ભુવનેશ શાહી દ્વારા કેસના સમર્થનમાં ૨૬ સાહેદને તપાસમાં આવ્યા હતા તેમજ ૫૦ થી વધુ દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા. બનાવ નજરે જોનાર ફરિયાદી કિરણભાઇ અને વેદીજીભાઇ સુખાભાઇ ચૌહાણ સહિત તમામ સાક્ષીએ કેસને સમર્થન આપ્યું હતું અને રૂપાબેને કોન્સ્ટેબલ લોહીથી લથબથ વર્દીમાં ભાગતા જોવાની હકિકત જણાવી હતી. આરોપી ખુદ કાયદાનો રખેવાળ હોય અને કાયદાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો હોય સ્પે. પી.પી. રૂપરાજસિંહે આ કેસને  રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણીને ફાંસીની સજા કરવા માગણી કરી હતી. કેસની સુનાવણી પુર્ણ થતાં એડીશનલ સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે વિડીયો કોન્ફરસીંગથી સજાનો ચૂકાદો જાહેર કરી આરોપીને ૨૫ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો હતો. નોંધનિય છે કે, આરોપીના પિતા રમેશભાઇ ફોજદાર હતા, ચાલુ ફરજે તેનું અવસાન થતાં પુત્ર કમલેશને રહેમરાહે નોકરી મળી હતી. સજા ભોગવી રહેલા જે કેદીઓએ ૧૪ વર્ષની સજા કાપી લીધી હોય તેમજ જેલમાં ચાલચલગત સારી હોય એ સહિતની બાબતને ધ્યાને લઇને સરકાર દ્વારા સજા માફીના લાભ મળતા હોય છે. પરંતુ સજાના આ ચૂકાદામાં અદાલતે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે આરોપીને સજા માફીનો લાભ મળી શકશે નહીં તેણે વિધાઉટ રેમીશન સળંગ ૨૫ વર્ષ સજા ભોગવવાની રહેશે. 
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment